- શહેરમાં સીએમઓની ટીમે ૨૨ સ્થળોએ તપાસ કરી
- સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ
- આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ
સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમનું ચેકિંગ હાથ ધરાયું હતું. સીએમ પોર્ટલ પર થયેલી ફરિયાદ મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમે ૨૨ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગાંધીનગરની ટીમના ચેકિંગ બાદ આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન વિભાગની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં આવી છે. સફાઈ પાછળ કરોડો રૃપિયાના ધુમાડા કરવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા, ત્રસ્ત નાગરિકોએ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પોર્ટલ મારફતે રજૂઆતો કરી હતી. આ ફરિયાદોની ગંભીરતાને ધ્યાને લઈ, સીએમઓ દ્વારા મોકલવામાં આવેલી વિશેષ તપાસ ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના ૨૨ જેટલા એવા સ્થળો છે જ્યાં વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્રએ સફાઈ કામગીરી કરી ન હતી.
રાત્રિ સફાઈ અને દિવસની કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ તપાસવા માટે ગાંધીનગરથી આવેલી ટીમોએ સીધું જ ઓન-ધ-સ્પોટ ચેકિંગ શરૃ કર્યું છે. આ કાર્યવાહીને પગલે વર્ષોથી ભ્ર્રષ્ટાચાર અને બેદરકારીમાં ખૂંપેલા સેનિટેશન વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સેનિટેશન વિભાગમાં ભ્રષ્ટાચારની રાવ પહેલાથી જ હતી, ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દખલગીરી બાદ પાલિકાના વહીવટમાં મોટા ઉલટફેર થવાની શક્યતાઓ છે. જો તપાસમાં ક્ષતિઓ જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે આ ઉચ્ચસ્તરીય તપાસ બાદ સુરેન્દ્રનગરને ગંદકીના પ્રશ્નમાંથી કાયમી છુટકારો મળશે.