સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વર્તાઈ રહેલી ગેસ સિલિન્ડરની અછતને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે ગ્રાહકોના ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ કનેક્શન (PNG) ઉપલબ્ધ છે, તેવા ગ્રાહકો પાસેથી વધારાના એલપીજી (LPG) સિલિન્ડર પરત ખેંચી લેવાની સૂચના આપવામાં આવી હતી.
તંત્રનો આશય એ હતો કે આ પરત આવેલા સિલિન્ડરો જરૂરિયાતમંદ પરિવારોને આપી શકાય અને અછતની સ્થિતિ પર કાબુ મેળવી શકાય.
જોકે, આ આદેશ બાદ તેની અમલવારીમાં તંત્ર અને ગેસ એજન્સીઓ ઉણી ઉતરી હોય તેવું દેખાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે, કેટલા ગ્રાહકો પાસેથી સિલિન્ડર પરત મેળવવામાં આવ્યા તેની કોઈ જ સત્તાવાર વિગત સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ પાસે ઉપલબ્ધ નથી. જ્યારે આ અંગે પુરવઠા અધિકારીને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે જણાવ્યું કે આ કામગીરી એજન્સીઓએ કરવાની હોય છે અને હજુ સુધી એજન્સીઓ પાસેથી કોઈ ડેટા એકત્રિત કરવામાં આવ્યો નથી.
હાલ પરિસ્થિતિ એ છે કે એક બાજુ સામાન્ય નાગરિકો ગેસના બાટલા માટે લાંબી કતારોમાં ઉભા છે, ત્યારે બીજી બાજુ તંત્ર માત્ર કાગળ પર સૂચનાઓ આપીને સંતોષ માની રહ્યું છે. ગેસ એજન્સીઓએ ખરેખર પાઈપલાઈન ધરાવતા ગ્રાહકોના સિલિન્ડર જમા લીધા છે કે કેમ, તેની દેખરેખ રાખવામાં પણ પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યો હોવાનો ઘાટ સર્જાયો છે. આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ફોલોઅપ લેવામાં આવે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર રાંધણ ગેસ મળી રહે તેવી લોક માંગ ઉઠી છે.
