Collapse of unused Surendranagar Nari Kendra building
Surendranagar Nari Kendra | સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી નાણાંનો કઈ રીતે ધુમાડો થાય છે તેનો એક દ્રષ્ટાંતરૂપ કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 1997 માં મહિલાઓના આશ્રય અને સુરક્ષાના હેતુથી સુરેન્દ્રનગરમાં એક સુસજ્જ નારી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ ઇમારતમાં અંદાજે 36 રૂમ, રસોડું અને ડાઇનિંગ એરિયા સહિત તમામ આધુનિક સગવડો તૈયાર કરવામાં આવી હતી. જોકે, સરકારી તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનોની ઘોર ઉપેક્ષાના કારણે 29 વર્ષનો લાંબો સમય વીતી જવા છતાં આ નારી કેન્દ્ર( Surendranagar Nari Kendra) નું ક્યારેય વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું જ નહોતું.
એકપણ વખત ઉપયોગમાં આવ્યા વિના ધૂળ ખાતી પડેલી આ સરકારી ઇમારત સમય જતાં સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી. અંતે આજે આ જર્જરિત ઇમારતની છત ધારાશાયી થઈ ગઈ હતી.
સદભાગ્યે, ઇમારત સંપૂર્ણપણે બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ, જાહેર જનતાના કરવેરાના નાણાંનો કઈ રીતે અન્યાયી વ્યય થાય છે તે બાબત આ ઘટનાથી સ્પષ્ટપણે છતી થઈ છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલના સમયમાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1091 જેવી વિવિધ સેવાઓ ચલાવવામાં આવે છે. પરંતુ, જ્યારે ઘરેલુ હિંસા (domestic violence) કે અન્ય ગંભીર આપત્તિના કિસ્સાઓમાં મહિલાઓને તાત્કાલિક સુરક્ષિત આશ્રયની જરૂર પડે છે, ત્યારે જિલ્લામાં એકપણ કાર્યાન્વિત આશ્રયસ્થાન ઉપલબ્ધ નથી. આ અગાઉ પણ આ અંગે અનેક રજૂઆતો થઈ ચૂકી છે.
પરિણામે, મુશ્કેલીમાં મુકાયેલી પીડિત મહિલાઓ અને યુવતીઓને ન છૂટકે પોતાનો જિલ્લો છોડીને રાજકોટ સ્થિત આશ્રયગૃહમાં જવું પડે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક સામાજિક આગેવાનો અને અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ તૂટી પડેલી નારી કેન્દ્ર (Surendranagar Nari Kendra) ની ઇમારતને દૂર કરીને તાત્કાલિક નવીન અને આધુનિક સુરક્ષા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવે, જેથી પીડિત મહિલાઓને સ્થાનિક સ્તરે જ યોગ્ય મદદ મળી રહે.
