સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને મૂળી તાલુકાના જસાપર, હેમતપર, નળીયા અને નવાણીયા ગામોના તળાવો ખાલી થઈ જતાં ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા હતા. આ ગામોના રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે માંગ કરવામાં આવી હતી.
આ સમસ્યા અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત (Surendranagar Jilla Panchayat)ના સિંચાઈ વિભાગના ચેરમેન રાજુ કરપડા (Raju Karpada) દ્વારા ગાંધીનગર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતના પગલે તંત્ર દ્વારા ચારેય ગામોના તળાવ ભરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
આ યોજના હેઠળ ધોળીધજા ડેમથી મોરસલ ફીડર લાઈનની આજુબાજુ 7 km ના વિસ્તારમાં આવેલા તળાવોને પાઈપલાઈન મારફતે ભરવામાં આવશે. આ નિર્ણય બાદ ટૂંક સમયમાં જ સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે.
તળાવો ભરાઈ જવાથી આગામી દિવસોમાં પીવાના પાણી, સિંચાઈ અને માલ-ઢોર માટે પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. મંજૂરી મળતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
