સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર 8માં વિદ્યાર્થીઓમાં વ્યાવહારિક જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ થાય તે માટે ‘લાઈફ સ્કીલ બાળમેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિસ્તારના કોર્પોરેટર સોનલબેન દવે, જશુબેન ઈશ્વરભાઈ વેગડ તથા ભાવેશભાઈ પ્રજાપતિના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
શાળાના ઇતિહાસમાં પ્રથમ વાર યોજાયેલા આ અનોખા ફૂડ ફેસ્ટિવલમાં ધોરણ 6થી 8ના 200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ રૂપિયા એકઠા કરી જરૂરી સામાનની ખરીદી કરી હતી.
શાળામાં દાબેલી, પાણીપુરી, ભેળ, લચ્છી, સેન્ડવીચ અને વિવિધ કેક જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને તેના સ્ટોલ લગાવ્યા હતા. આ સાથે જ મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગપૂરણી અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું.
આ બાળમેળા દ્વારા બાળકોએ વસ્તુની ખરીદી કેમ કરવી, ભાવ નિર્ધારણ કેવી રીતે કરવું અને ગ્રાહકો સાથે વેપાર કેમ કરવો તેનો વ્યાવહારિક અનુભવ મેળવ્યો હતો. ચીજવસ્તુઓના વેચાણ બાદ બાળકોએ નફા અને નુકસાનનો પાકો હિસાબ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર ડાયેટના લેક્ચરર ગાયત્રીબેને આકસ્મિક મુલાકાત લઈ બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. બાળમેળાને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી અને શિક્ષક પરિવારે ભારે જહમત ઉઠાવી હતી.
