ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહીંવત નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરાશે ભાજપમાં ટિકિટના નવા નિયમ! કોના સપના તૂટશે? સુરેન્દ્રનગર,તા.4 સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે ભાજપે ‘ત્રણ ટર્મ’ ચૂંટણી લડનારા ઉમેદવારોને ટિકિટ ન આપવાનો કડક નિર્ણય લેતા સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નિયમ મુજબ જે નેતાઓ ત્રણ વખત ચૂંટણી લડયા છે પછી ભલે તે ભાજપમાંથી હોય, અન્ય પક્ષમાંથી હોય કે અપક્ષ તરીકે તેમને આ વખતે પડતા મૂકવામાં આવશે. પક્ષના આ નિર્ણયથી વર્ષોેથી મહેનત કરતા પાયાના કાર્યકરોમાં નવા જોમનો સંચાર થયો છે, જ્યારે દાયકાઓથી સત્તા ભોગવતા દિગ્ગજો માટે અસ્તિત્વની લડાઈ શરૂ થઈ છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓ ભાજપના નારાજ દિગ્ગજોને પોતાના પક્ષમાં ખેંચવા માટે અત્યારથી જ ફિરાકમાં છે.
ઝાલાવાડમાં મનપા સહિત પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા નગરપાલિકામાં દાવેદારોને પારખી, સાંભળ્યા પછી યાદી પાર્લામેન્ટરી બોર્ડને સ્થાનિક સંગઠન દ્વારા મોકલી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર નગરપાલિકાની (હવે મહાનગરપાલિકા) 52 બેઠકમાંથી 49માં, લીંબડીમાં 28માંથી 28માં, ધ્રાંગધ્રામાં 36 માંથી 35માં, પાટડીની છ વોર્ડની 24 બેઠકમાં અને ચોટીલા 24માંથી 22 બેઠક પર ભાજપે કબજો મેળવ્યો હતો. જોકે, પાંચ પાલિકામાં 6૦ વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 4૦થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે. પાલિકાઓમાં 3૦ ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહીંવત તેમજ નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરાશે.
જિલ્લાની તમામ પ નગરપાલિકાઓમાં જ્યાં સામાન્ય ચૂંટણી યોજાવવાની છે તે તમામ નગરપાલિકાઓમાં છેલ્લા પ વર્ષથી સત્તામાં રહ્યો છે. મોટાભાગની નગરપાલિકાઓમાં પ વર્ષ દરમિયાન નબળા કામો અને અનેક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રોષ પણ છૂપો રહ્યો નથી અને હવે આ તમામ પ નગરપાલિકાની વર્ષ-ર૦ર1થી ર૦ર6ની મુદત પૂરી થઈ છે અને આગામી તા.ર6 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવવાની છે ત્યારે ભાજપ 7૦ ટકા ઉમેદવારોની ટિકિટ એસ.ઓ.પી. તેમજ અન્ય નબળી કામગીરી તેમજ વિવાદોને ધ્યાને રાખી આપવાના મૂડમાં નથી અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી યુવા બ્રિગેડને ભાજપ વધુ મજબૂત કરવાના માર્ગે હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કેઆ નવા સમીકરણો મુજબ, જે ઉમેદવાર અત્યાર સુધીમાં ત્રણ વખત ચૂંટણી લડયા છે (હાર્યા હોય કે જીત્યા હોય), તેમને ટિકિટ ફાળવવામાં આવશે નહીં. આ આદેશમાં પરિવારવાદ પર પણ કાતર ફેરવવામાં આવી છે. જો કોઈ નેતા પોતે ત્રણ ટર્મ લડયા હોય, તો તેમના પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ મળશે નહીં. પિતા-પુત્ર કે પતિ-પત્નીની સંયુક્ત ટર્મ જો ત્રણ થતી હશે, તો પણ તેમને આ નિયમની ઝપેટમાં લેવામાં આવશે.
દાયકાઓની નિષ્ઠા પછી હવે આ નેતાઓ પક્ષ પ્રત્યે સમર્પણ દાખવે છે કે સત્તા માટે પક્ષપલટો કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. આગામી દિવસોમાં જાહેર થનારી ઉમેદવારોની યાદી સુરેન્દ્રનગરના રાજકારણમાં નવા જ સમીકરણો રચશે તે નક્કી છે.
નાના કાર્યકરોમાં હરખ આ નિર્ણયની સૌથી મોટી અસર પક્ષના સંગઠન પર જોવા મળી રહી છે. વોર્ડ સ્તરે રાત-દિવસ દોડતા નાના કાર્યકરોમાં ભારે ખુશી છે, કારણ કે તેઓ માને છે કે આ નિર્ણયથી વર્ષોે જૂના એકહથ્થુ શાસન અને પરિવારવાદનો અંત આવશે અને છેવાડાના વફાદાર કાર્યકરને લોકશાહી ઢબે પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
અનુભવી નેતાઓમાં દ્વિધા, માર્ગદર્શક બનવું કે બળવો કરવો? બીજી તરફ, શહેરના જાણીતા ચહેરાઓ અને સ્થાપિત નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. અનેક એવા નેતાઓ છે જેમને પક્ષે અનેકવાર તક આપીને મોટું નામ અને પ્રતિા અપાવી છે, હવે તેમના માટે પક્ષના આદેશને શિરોધાર્ય માની ‘માર્ગદર્શક’ બનવું કે સત્તાની લાલચમાં બળવો કરવો તે મોટો પ્રશ્ન છે.
વિપક્ષી કેમ્પમાં ઉત્સાહ વિપક્ષી છાવણીમાં આ સ્થિતિને લઈને ભારે ઉત્સાહ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના નારાજ જૂના જોગીઓ પર નજર રાખીને બેઠા છે. વિપક્ષને આશા છે કે જો ભાજપના મજબૂત ચહેરાઓ પક્ષ છોડીને તેમની સાથે જોડાય, તો ચૂંટણીના પરિણામો પલટી શકાય છે. જોકે, ભાજપના દિગ્ગજો માટે આ સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી છે. તેઓ જાણે છે કે પક્ષ સામે બળવો કરવો કે અન્ય પક્ષમાં જવું એ રાજકીય આત્મહત્યા સમાન સાબિત થઈ શકે છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…