Gediya Encounter Case | પાટડી તાલુકાના ગેડિયા ગામે નવેમ્બર-2021માં હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના 13 વર્ષનો પુત્ર મદીનખાનના પોલીસ એન્કાઉન્ટર મામલે SIT દ્વારા રજૂ કરાયેલી C-સમરી રિપોર્ટને કોર્ટે ફગાવી દીધો છે.
કોર્ટે C-સમરી રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો
આ કેસની તપાસ ધાંગધ્રાના તત્કાલીન Dy.SP જે.ડી. પુરોહિતની આગેવાની હેઠળની SIT દ્વારા કરવામાં આવી હતી. SITએ રજૂ કરેલી C-સમરી સામે ફરિયાદી પક્ષના વકીલ પુનિત દવેએ FSL રિપોર્ટ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે દલીલો રજૂ કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈને કોર્ટે C-સમરી રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
FIR દાખલ થઈ છતાં પોલીસે C-સમરી ભરી દીધી
SIT દ્વારા C-સમરી ભરવામાં આવતા ફરિયાદીના વકીલ પુનિત દવે દ્વારા કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, FIR દાખલ થઈ હોવા છતાં પોલીસે આરોપી પોલીસકર્મીઓને બચાવવા માટે C-સમરી ભરી દીધી હતી.
SIT ટીમે 7 પોલીસકર્મી-અધિકારીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો
કોર્ટ સમક્ષ ઘટના સમયે હાજર નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો અને FSL રિપોર્ટ સહિતના તમામ મહત્વના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓની ચકાસણી કરતા સ્પષ્ટ થયું હતું કે SITની ટીમે 7 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ‘સ્વ-બચાવ’માં ફાયરિંગ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી
એકત્રિત કરાયેલા પુરાવાઓ અને FSL રિપોર્ટની તપાસમાં સામે આવ્યું છે કે, એન્કાઉન્ટરની ઘટના સમયે ખાનગી વાહનનો ઉપયોગ થયો હતો અને પોલીસે ‘સ્વ-બચાવ’ (Self-defense)માં ફાયરિંગ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આમ, ગેરન્યાયિક રીતે C-સમરી ભરવામાં આવી હોવાનું સાબિત થતાં કોર્ટે SITની C-સમરી ફગાવી દીધી છે.
તમામ આરોપી પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાની તજવીજ
આમ, ગેરન્યાયિક રીતે C-સમરી ભરવામાં આવી હોવાનું સાબિત થતાં કોર્ટે SITની C-સમરી ફગાવી દીધી છે. કોર્ટે કેસની વધુ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપી તમામ આરોપી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે વોરંટ ઈશ્યૂ કરવાની તજવીજ હાથ ધરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
કોર્ટે 7 પોલીસકર્મી સામે કાર્યવાહી આગળ ધપાવવાનો આદેશ આપ્યો
કોર્ટે બજાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI વી.એન. જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ તમામ આરોપી પોલીસકર્મીઓને 8 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા પણ નિર્દેશ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ગુજસીટોકના આરોપી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા. જો કે 59 ગુનામાં તો તે વોન્ટેડ હતો. 6 નવેમ્બર, 2021ના રોજ પાટડી તાલુકાના ગેડિયા ગામમાં બજાણા પોલીસની ટીમ આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નોને પકડવા પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન હનીફખાને પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે તેના 13 વર્ષના પુત્ર મદીનખાને ધારિયા વડે હુમલો કર્યો હતો. પોલીસના દાવા અનુસાર, સ્વબચાવમાં કરાયેલા ફાયરિંગમાં પિતા અને પુત્ર બંનેના મોત થયા હતા. આ મામલે ચાર વર્ષ સુધી ચાલેલી કાનૂની લડત બાદ કોર્ટે એન્કાઉન્ટર કેસમાં ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
8 ઓગસ્ટે PSI સહિત કુલ 7 પોલીસકર્મીને કોર્ટમાં હાજર કરવા સૂચના
પોલીસના રેકોર્ડ મુજબ હનીફખાન વાહનચોરી ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો અને તેની સામે ગુજસીટોક સહિત કુલ 86 ગુના નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનામાં તે ફરાર હતો.
હવે કોર્ટ દ્વારા C-સમરી ફગાવી દેતા આ સમગ્ર એન્કાઉન્ટર કેસમાં ફરી એકવાર કાનૂની કાર્યવાહી તેજ બનવાની શક્યતા ઉભી થઈ છે. 8 ઓગસ્ટે આરોપી પોલીસકર્મીઓની કોર્ટમાં હાજરી બાદ કેસની આગામી સુનાવણીમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
PSI સહિત સાત પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ, એક પોલીસકર્મીનું મોત
2021ના ગેડીયા એન્કાઉન્ટર કેસમાં નામદાર કોર્ટના હુકમ બાદ બજાણા પોલીસમથકના તત્કાલિન (1) PSI વી.એન.જાડેજા, (2) રાજેશ સવજીભાઈ મીઠાપરા (3) કિરીટ ગણેશભાઈ (4) દિગ્વિજયસિંહ હરદીપસિંહ (5) શૈલેષ પ્રહલાદભાઈ (6) મનુ ગોવિંદભાઇ (7) પ્રહલાદ પ્રભુભાઈ સહિતના સાત પોલીસકર્મી વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેમાં રાજેશભાઈ મીઠાપરાનું થોડા સમય અગાઉ આકસ્મિક અવસાન થયું હતું.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…