- વેપારીઓ અને ખરીદી કરવા આવતી મહિલાઓ ભારે પરેશાન
- તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ
Wadhwan Drainage Issue | સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં શિયાણી પોળ દરવાજા નજીક લીંબડી રોડ હાઇવે પર કેમિકલયુક્ત ડ્રેનેજના ગંદા પાણી રોડ પર ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વઢવાણમાં પ્રખ્યાત બાંધણીના ઉદ્યોગો આવેલા છે, જેમાં રંગરોગાન માટે કેમિકલયુક્ત પાણીનો વ્યાપક વપરાશ થાય છે. પરંતુ સમગ્ર વિસ્તારમાં એક પણ ‘ડાઇન પાર્ક’ની સુવિધા ન હોવાના કારણે આ ઝેરી અને ગંદુ પાણી જાહેર ડ્રેનેજ મારફતે રોડ પર છોડવામાં આવી રહ્યું છે.
આ ગંદા પાણી સીધા વેપારીઓની દુકાનોની બહાર જ ભરાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ છે અને વેપારીઓનો વેપાર-ધંધો પ્રભાવિત થયો છે.
વળી, આ સ્થળની નજીકમાં જ મુખ્ય શાક માર્કેટ આવેલી હોવાથી રોજિંદી ખરીદી માટે આવતી મહિલાઓ તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને આ કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે “તંત્ર અને કારખાનેદારોની બેદરકારીના કારણે અમારે રોગચાળાના ભય વચ્ચે જીવવું પડી રહ્યું છે.”
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહિશો અને વેપારીઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજ દિન સુધી નિયમોનું ઉલ્લંઘન કરતા બાંધણીના ઉદ્યોગકારો સામે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા નથી.
તંત્રની આ નિષ્ક્રિયતા સામે જનતામાં ભારે આક્રોશ છે અને જવાબદાર કારખાનેદારો સામે તાકીદે કડક પગલાં ભરી આ પ્રદૂષણ અટકાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
