લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર ઝમર અને દેદાદરા ગામના પાટીયા વચ્ચે પહોંચી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી.
કાર ચાલકે અચાનક કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર બેકાબૂ થઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાને પગલે આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરીને કારમાં સવાર ચાલક અને એક નાની દીકરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં 2 લોકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
