સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લખતર શહેરમાં રખડતા ઢોર (Stray Cattle) અને આખલાઓનો ત્રાસ હવે હદ બહાર વધી ગયો છે. હાઇવે અને મુખ્ય બજારો વચ્ચે પશુઓના જમાવડાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો સતત અકસ્માત (Accident) ના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
દરમિયાન આજે લખતર-વિરમગામ હાઇવે (Lakhtar-Viramgam Highway) પર બે આખલાઓ વચ્ચે ખેલાયેલા હિંસક જંગને કારણે કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા (Traffic System) ખોરવાઈ ગઈ હતી અને હાઈવે પર ભારે અફરાતફરી સાથે નાસભાગ મચી ગઈ હતી.
લખતર શહેરના ઉગમણા દરવાજા પાસે તેમજ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ (Petrol Pump) નજીક અચાનક બે માતેલા આખલાઓ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
આખલાઓ લડતાં-લડતાં જાહેર રોડની અધવચ્ચે આવી જતાં હાઇવે પરથી પસાર થતી બસો, ટ્રકો અને બાઇક ચાલકોના વ્હીલ થંભી ગયા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના દુકાનદારો (Shopkeepers) અને રાહદારીઓ પણ જીવ બચાવવા ભાગ્યા હતા.
રસ્તા પર ઉભેલા વાહનો સાથે આખલાઓ ધડાકાભેર અથડાતાં અનેક વાહનોને મોટું નુકસાન (Damage) થયું હતું અને અકસ્માતનો મોટો ખતરો સર્જાયો હતો.
લખતરમાં રખડતા પશુઓ દ્વારા લોકોને અડફેટે લેવાના બનાવો અવારનવાર બને છે. આ ગંભીર સમસ્યા અંગે થોડા સમય પહેલા જ લખતરના જાગૃત ગ્રામજનો દ્વારા મામલતદાર (Mamlatdar) ને રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા કડક માંગ કરવામાં આવી હતી.
આમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર (Local Administration) દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે જ આજે લખતરની જનતા અને મુસાફરોએ કલાકો સુધી હેરાનગતિ ભોગવવી પડી છે, ત્યારે હવે તંત્ર જાગશે કે કોઈ મોટી હોનારતની રાહ જોશે? તેવો ઉગ્ર સવાલ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે.
