વઢવાણ તાલુકામાં આવેલા ગુંદિયાળા ગામે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે ગ્રામજનોને ટીપે ટીપે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં ધોળીધજા ડેમમાંથી પાઈપલાઈન દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 15 દિવસથી પાણી ખેંચવાની ઈલેક્ટ્રીક મોટર બગડી ગઈ હોવાના કારણે પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
તંત્રની નિષ્ફળતાના કારણે હાલ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સ્થિતિ અત્યંત દયનીય બની છે. એક તરફ સરકાર દ્વારા ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજનના દાવા કરવામાં આવે છે. પરંતુ ગુંદિયાળાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
અહીંના સંપમાં પાણી પહોંચાડતી મોટર રિપેર કરવામાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. બીજી તરફ, નર્મદા કેનાલોમાં પણ રિપેરીંગ કામ ચાલતું હોવાથી કેનાલનું પાણી પણ બંધ છે. જેના કારણે ગામમાં પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત બચ્યો નથી.
પાણીના અભાવે ગામની મહિલાઓને માથે બેડા લઈને અન્ય ગામો સુધી ભટકવું પડી રહ્યું છે. સ્થાનિક ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા હાલ નાછૂટકે બોરનું ખારું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અશુદ્ધ પાણી પીવાને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.
ગ્રામજનોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે, જો આગામી દિવસોમાં ધોળીધજા ડેમમાંથી મોટર રિપેર કરી પાણીનો પુરવઠો યથાવત કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. હાલમાં આખું ગામ પાણી માટે ત્રાહિમામ પોકારી રહ્યું છે. અને વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ દિશામાં પગલાં ભરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. ઉનાળાની 40 ડિગ્રીથી વધુ ગરમીમાં પાણી વગર પશુઓ અને માનવીઓની હાલત કફોડી બની ગઈ છે.
