સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાળા ગામે રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂનો અવર-જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાળા રેલવે સ્ટેશનની બાજુમાંથી પસાર થતો આ માર્ગ ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે. કારણ કે, આ રસ્તેથી 40 થી 50 જેટલા ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને અન્ય વાહનો લઈને ખેત પેદાશોની હેરફેર કરે છે. છેલ્લા 1 વર્ષથી આ માર્ગ બંધ હોવાથી ખેડૂતો અને ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે વિભાગ દ્વારા આ રસ્તા પર લોખંડની એંગલો ખોડી અને પતરા લગાવીને માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમસ્યાના કાયમી નિવારણ અને જગતના તાતને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ગ્રામજનો મેદાને આવ્યા છે.
બાળા ગામના અગ્રણીઓ નયનભાઈ રોજાસરા, હર્ષદ વ્યાસ, વિષ્ણુભાઈ બાવળીયા અને દશરથસિંહ ચાવડા સહિતના લોકોએ એકઠા થઈ સુરેન્દ્રનગર કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોની માંગ છે કે, આ વર્ષો જૂનો રસ્તો તાત્કાલિક ધોરણે ખુલ્લો કરવામાં આવે જેથી તેઓ ખેતીકામ અને માલસામાનની હેરફેર સરળતાથી કરી શકે.
