સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ફૂલવાડી ગામે જમીન ખરીદીના નામે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના રહેવાસી ગૌતમભાઈ દિનકરભાઈ બ્રોકરે વર્ષ 2011 થી ઇન્વેસ્ટમેન્ટના હેતુથી સુરેન્દ્રનગરમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. પોતે ખેડૂત ન હોવાને કારણે, તેમણે વિશ્વાસના આધારે ફૂલવાડી ગામના બે ખેડૂતો મૂળજીભાઈ ભલાભાઈ સેનવા અને બોઘાભાઈ નાનુભાઈ મકવાણાના નામે દસ્તાવેજો બનાવી 45 એકર જમીન ખરીદી હતી.
જોકે, સમય જતાં આ બંને ખેડૂતોની દાનત બગડી હતી અને તેમણે અસલ માલિક ગૌતમભાઈને જમીન સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આ જમીન પોતાના પરિવારજનોના નામે વારસામાં ચડાવી દઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો ધડાકો થયો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે પાણશીણા પોલીસે બંને ખેડૂતોની અટકાયત કરી છે. લીંબડી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ 1.25 કરોડના કૌભાંડની ઊંડી તપાસ કરી રહ્યા છે.
