Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
વઢવાણ ખાતે ધર્મ તળાવના કિનારે આવેલા 150 વર્ષ જૂના ઐતિહાસિક ચરમાળિયા દેવતાના મંદિરે નાગપંચમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
વઢવાણ સ્ટેટ દ્વારા નિર્માણ પામેલા આ ઐતિહાસિક મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસ અને નાગપંચમીના વિશેષ દિવસે વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિત આસપાસના 10થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આજના દિવસે મંદિરે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. મંદિર પરિસરમાં સાંજે 7 વાગ્યે અને મધ્યરાત્રિએ પણ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન દિવસે અનેક ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા, ખુલ્લા પગે તેમજ દંડવત પ્રણામ કરીને મંદિર પહોંચી રહ્યા છે.
લોકોની એવી ગાઢ આસ્થા છે કે ચરમાળિયા દાદાના દરબારમાં શ્રદ્ધાથી મંગાયેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંદિરના પૂજારી ભુપતભાઈ રાવલના જણાવ્યા અનુસાર, નાગપંચમી નિમિત્તે મંદિરના પટાંગણમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના નાના-મોટા ચકડોળ ધારકો અને વેપારીઓ જોડાયા છે.
ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા, જમવા તેમજ પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર વઢવાણ પંથકમાં આજે નાગદેવતાની ભક્તિનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે.
