સુરેન્દ્રનગર (Surendranagar), વઢવાણ, જોરાવનગર અને રતનપર સહિત આશરે 2 લાખની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારના લોકો માટે મનોરંજનનો એકમાત્ર આશરો એવો ‘ટાગોરબાગ’ (Tagore Baug) બગીચો હાલ તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે બદહાલ સ્થિતિમાં મૂકાયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) બન્યા બાદ આ બગીચાના નવીનીકરણ (Development) માટે ટેન્ડર બહાર પાડીને 1 કરોડ રૂપિયાનું મસમોટું બજેટ ફાળવવામાં આવ્યું હતું. રાજકોટની એક એજન્સી દ્વારા કામગીરી પૂરી થયાનો દાવો કરીને બગીચો ખુલ્લો તો મૂકી દેવાયો છે, પરંતુ વાસ્તવિકતામાં સુવિધાના નામે મીંડું હોવાથી જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
કાગળ પર લાઈટિંગ, ફૂટપાથ (Footpath) અને રમત-ગમતના સાધનો દર્શાવાયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ તદ્દન અલગ છે. અહીં આવતા પરિવારો માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ પરબ કે શૌચાલય (Toilet) ની વ્યવસ્થા જ નથી.
બગીચાની અંદર આવેલું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, માત્ર 4 થી 5 સામાન્ય રમકડાં નાખીને 1 કરોડનું બિલ પાસ કરાવી લેવાયું હોય તેમ લાગી રહ્યું છે.
સૌથી ગંભીર બાબત એ છે કે રાત્રિના સમયે લાઈટો બંધ રહે છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પણ હોતો નથી. અંધારાનો લાભ લઈને અહીં આવારા તત્વો અસામાજિક પ્રવૃત્તિઓ માટે જમાવડો કરે છે, જેના કારણે મહિલાઓ અને બાળકો સુરક્ષાને લઈને ભારે ચિંતામાં છે.
આ ગંભીર ભ્રષ્ટાચાર અને લાપરવાહી અંગે સુરેન્દ્રનગર મનપાના મેયર (Mayor) રાકેશ રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે બગીચામાં સુવિધાઓનો અભાવ છે.
તેમણે ઉમેર્યું કે સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીને તેડું મોકલાયું છે અને ટેન્ડર (Tender) ની શરતો મુજબ કામ પૂરું કરવા કડક આદેશ અપાયા છે. જો એજન્સી નિયમોનું પાલન નહીં કરે તો તેને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ (Blacklist) કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
