સુરેન્દ્રનગરની આરટીઓ (RTO) કચેરીના બિલ્ડિંગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારી ખાનગી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં જ અગ્નિશામક સાધનોની સમય મર્યાદા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી વિવિધ બિલ્ડિંગોમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો વર્ષ 2025માં જ એક્સપાયર થઈ ગયા છે, છતાં તેને હજુ સુધી અપડેટ કે રિફિલ કરવામાં આવ્યા નથી.
આરટીઓ કચેરીના આ જ બિલ્ડિંગમાં નશાબંધી શાખા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ચેરિટી ટ્રસ્ટ વિભાગ, મંડળી રજીસ્ટ્રેશન, લગ્ન નોંધણી, નર્મદા વિભાગ અને ખેતીવાડી વિભાગ જેવી મહત્વની કચેરીઓ કાર્યરત છે. દરરોજ સેંકડો અરજદારો આ કચેરીઓની મુલાકાત લેતા હોય છે. આવા સંજોગોમાં જો અચાનક આગ લાગવાની ઘટના બને, તો એક્સપાયર થયેલા સાધનો કામ આપશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સાબિત થઈ શકે તેમ છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી કચેરીઓ જ જો નિયમોનું પાલન ન કરતી હોય તો સામાન્ય જનતા પાસે અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હાલમાં આ બિલ્ડિંગમાં કાર્યરત વિવિધ વિભાગોના દસ્તાવેજો અને કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સાધનોને રિન્યુ કરવામાં આવે અથવા નવા સાધનો વસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય.
