રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ અને તેમના પરિવારજનો દ્વારા એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાના રતનપર સ્થિત કાર્યાલય ખાતે પહોંચીને બહેનોએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત પેન્શનધારકોના મૃત્યુ બાદ તેમની અપરિણિત, ત્યક્તા કે છૂટાછેડા લીધેલી દીકરીઓને આજીવન પેન્શન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
દેશના પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ નિયમ લાગુ છે. પરંતુ ગુજરાત રાજ્યમાં આ અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે અંદાજે 560 જેટલા કેસોની ફાઇલો સરકારમાં પેન્ડિંગ પડી છે.

પેન્શનધારકના અવસાન બાદ તેમની આશ્રિત દીકરીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દીપાલી શાહ અને અન્ય બહેનોએ માંગ કરી છે કે રાજ્યના 442 તાલુકાના અંદાજે 4 લાખ નિવૃત્ત કર્મચારીઓના પરિવારોને ન્યાય મળે તે માટે કેન્દ્ર સરકારના નિયમો મુજબ રાજ્ય સરકાર પણ તાત્કાલિક યોગ્ય નિર્ણય લે. નાયબ દંડકે આ રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
