સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. આ સમયે ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ખેડૂતોએ હંમેશા અધિકૃત લાયસન્સ ધરાવતા વિક્રેતા પાસેથી જ કૃષિ ઇનપુટ્સની ખરીદી કરવી જોઈએ અને આગ્રહ રાખીને લાયસન્સ નંબર અને સહીવાળું ‘પાકું બિલ’ મેળવવું જોઈએ.
ખરીદી કરતી વખતે બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર અને એક્સપાયરી ડેટ (Expiry Date) જેવી વિગતો તપાસવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને બીટી કપાસના ભાવ સરકાર દ્વારા નિર્ધારિત હોય છે, જો કોઈ વેપારી વધુ ભાવ વસૂલે તો તાત્કાલિક ખેતીવાડી કચેરીને જાણ કરવી.
ખાતર ખરીદતી વખતે થેલી પર ‘ફર્ટીલાઇઝર’ કે ‘ઓર્ગેનીક ફર્ટીલાઈઝર’ જેવા શબ્દો વાંચીને જ ખાતરી કરવી. લેભાગુ તત્વો દ્વારા અપાતી લોભામણી સ્કીમો કે સસ્તા બિયારણની લાલચમાં આવીને બિલ વગર ખરીદી કરવી હિતાવહ નથી.
જો ખેતીમાં ઉપયોગ કર્યા બાદ પાકમાં કોઈ સમસ્યા જણાય, તો ખેડૂતો જિલ્લા કક્ષાની ફરિયાદ સમિતિનો સંપર્ક કરી શકે છે.
નિષ્ણાતોની ટીમ સ્થળ પર આવી તપાસ કરી અહેવાલ તૈયાર કરશે, જે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ થશે. ખેડૂતોની જાગૃતિ જ તેમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે તેમ ખેતીવાડી વિભાગની યાદીમાં જણાવાયું છે.
