મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ગુજરાતના બજારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના લિમિટેડ કોટા અને ઈંધણની અછત હોવાની અફવા વાયુવેગે ફેલાતા સુરેન્દ્રનગર સહિત સમગ્ર ઝાલાવાડમાં ફફડાટ વ્યાપ્યો છે.
સોમવારે બપોર બાદ સુરેન્દ્રનગર શહેર, વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલા સહિતના તમામ તાલુકાઓમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ 1 કિલોમીટરથી પણ લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિને પગલે લોકોમાં ડર છે કે આગામી દિવસોમાં ઈંધણ મળવું મુશ્કેલ બનશે. આ અફવાને કારણે લોકો પોતાની ગાડીઓની ટાંકીઓ ફૂલ કરાવવા અને વધારાના કેન ભરવા માટે પડાપડી કરી રહ્યા છે. રજાઓના કારણે પુરવઠો સમયસર ન પહોંચતા કેટલાક ખાનગી પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ ના બોર્ડ પણ લાગ્યા હતા, જેનાથી ગભરાટમાં વધારો થયો હતો. જોકે, સરકારી ઓઈલ કંપનીઓના પંપ પર વેચાણ ચાલુ રહ્યું હતું.
આ ગંભીર સ્થિતિને જોતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે સત્તાવાર નિવેદન જારી કરીને લોકોને અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દોરવાવું નહીં અને બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. કલેક્ટરે વધુમાં ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે વેપારી ગેરકાયદેસર રીતે ઈંધણનો સંગ્રહ કરતા ઝડપાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તંત્ર દ્વારા તમામ પંપ પર રાબેતા મુજબ પુરવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
