GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે GIDC ના ઔદ્યોગિક પ્લોટના અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટી અને તેના પર લાગતી પેનલ્ટીના બોજમાંથી પાત્ર MSME ઉદ્યોગોને મુક્તિ અપાવવા માટે ‘GIDC એમ્નેસ્ટી સ્કીમ’ અમલમાં મુકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ના અભિગમને વેગ આપતા આ નિર્ણય અનુસાર, પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% સુધીની રકમ માફ કરીને માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પડતી પેનલ્ટી વસૂલવાનો પ્રસ્તાવ મુકાયો છે.
પરંતુ જે કિસ્સામાં 20% સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતા ઓછી થતી હોય, તેમાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ કરવામાં આવશે.
આ યોજના હેઠળ તા. 30 જૂન 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા તથા મિલકત તબદીલીના વ્યવહારોનો સમાવેશ કરાશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે વર્તમાન ફાળવણીદારે નક્કી કરેલી રકમ ભરીને મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તેમજ કોર્ટમાં પેન્ડિંગ પિટિશન પરત ખેંચવાની શરતે આ યોજનાનો લાભ મળશે.
આ નિર્ણયથી જુના વ્યવહારોના કારણે પ્લોટ ધારકો પર આવેલું ભારે આર્થિક ભારણ હળવું થશે અને લાંબા સમયથી બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત પણ ઝડપી બનશે.
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ નરેશ ધનરાજ કેલાએ 7 જુલાઈ 2026 ની રજૂઆત પર ત્વરિત નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો.
