સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મૂકવામાં આવેલી રૂ. 11,500ની કિંમતની દેડકો મોટરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખેડૂત હીરાપુરથી રામગઢ માર્ગ પર આવેલી પોતાની ખેતીની જમીનમાં વાવેતરને પાણી પાવા માટે ગયા હતા.
ખેડૂતે જ્યારે સ્વીચ ચાલુ કરી ત્યારે પાઈપમાં પાણી ન આવતા તેમણે કેનાલ પાસે જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેનાલમાં મૂકેલી મોટર ગાયબ હોવાનું જણાતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. આર્થિક નુકસાન વેઠનારા ખેડૂતે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિયતની સીઝન દરમિયાન જ મોટર ચોરાતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.
