PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. વીજ લોસના કારણે વીજ પુરવઠાના વિતરણ પર માળખાકીય અસર પડી રહી હોવાથી પીજીવીસીએલ (PGVCL) તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વર્તુળ કચેરી હેઠળ આવતા સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં PGVCLની 21 જેટલી વિશેષ ટીમો દ્વારા એકસાથે વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન સુરેન્દ્રનગર, વઢવાણ, ગુગળીયા, ખારાઘોડા (તા.દસાડા), રામપરા (તા.ધ્રાંગધ્રા), માણપુર (તા.ધ્રાંગધ્રા), લાલપુર, નલીયા (તા.મુળી), ચોકી (તા.લીંબડી), વણોદ (તા.દસાડા), ઝાપોદર (તા.વઢવાણ), રાઈગઢ (તા.ધ્રાંગધ્રા), ધર્મેન્દ્રગઢ (તા. મુળી), જેસડા (તા.ધ્રાંગધ્રા) અને નવાગામ સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
કામગીરી દરમિયાન PGVCL ની ટીમોએ રહેણાંકના 238 અને કોમર્શિયલના 21 મળીને કૂલ 261 વીજ જોડાણોનું સ્થળ પર જઈને ચેકિંગ કર્યું હતું. જેમાં રહેણાંકના 22 અને કોમર્શિયલના 4 મળીને કુલ 26 વીજ કનેક્શનોમાંથી સીધી ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી.
આ ઉપરાંત, કોઈપણ જાતના કાયદેસરના વીજ જોડાણ વગર જ ગેરકાયદેસર રીતે વીજળી વાપરતા અન્ય 23 કેસો પણ સામે આવ્યા હતા.
PGVCL તંત્ર દ્વારા આ તમામ ગેરરીતિ બદલ કુલ ₹19.19 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અચાનક હાથ ધરાયેલી આ દરોડાની કામગીરીથી સમગ્ર વિસ્તારના વીજ ચોરોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
