Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે. ખાસ કરીને વઢવાણ વિસ્તારમાં લીંબડી રોડ અને કોઠારીયા રોડ પર નવી સોસાયટીઓ અને ડેવલોપમેન્ટ વધતા પાણીની સમસ્યા વધુ વિકટ બની છે.
આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદીના અંદરના ભાગે નવી પાણીની પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વઢવાણ નજીક ભોગાવો નદીમાં હાલ પાણી ભરેલું હોવા છતાં, તંત્ર દ્વારા મશીનરી નદીના અંદરના ભાગમાં ઉતારીને જીવના જોખમે ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે.
ડેમથી લઈને પાણીની ટાંકી સુધી નવી પાઇપલાઇન નાખીને મજબૂત નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનો મુખ્ય હેતુ વઢવાણના રહેણાંક વિસ્તારો તેમજ નવી વિકસતી સોસાયટીઓમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવાનો છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો નદીની અંદર પાઇપલાઇન નાખવાનું આ નેટવર્ક સફળ થશે તો વઢવાણ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પીવાના પાણીની વિકટ સમસ્યાનો અંત આવશે.
હાલ તંત્રની અલગ-અલગ ટીમો આ કામગીરી પૂર્ણ કરવા માટે સતત કામે લાગી છે.
