Mission Mangalam | સુરેન્દ્રનગર જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ ફરજ બજાવતા 50 થી વધુ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસ અને કામના અસહ્ય ભારણથી કંટાળીને સામુહિક રાજીનામા આપવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા 3 મહિનાથી પગાર ન મળવા છતાં આ કર્મચારીઓ પાસે રજાના દિવસોમાં પણ રાત્રે 9:00 વાગ્યા સુધી કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે.
મિશન મંગલમ યોજના (Mission Mangalam)ના કર્મચારીઓ જિલ્લામાં સખી મંડળ, નાણાકીય સાક્ષરતા, કૌશલ્ય વર્ધન અને આજીવિકા જેવી વિવિધ યોજનાઓનું સંચાલન કરી રહ્યા છે.
તાજેતરમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા ટાર્ગેટ પૂરા ન કરવા બદલ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાની ચીમકી આપવામાં આવી હતી.
તદુપરાંત, 3 સપ્ટેમ્બર સુધીમાં 13000 મહિલાઓને પશુપાલન સાથે જોડીને સીસી લોન મંજૂર કરાવવાનો ટાર્ગેટ અપાયો છે. જ્યારે કર્મચારીઓએ સર્વર ડાઉન હોવાની અને સતત કામના ભારણની રજૂઆત કરી, ત્યારે અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો હતો કે તેઓ માત્ર કામના ફોટા અને લોકેશન જ ઈચ્છે છે.
અધિકારીઓના આ પ્રકારના ગેરવર્તનથી રોષે ભરાયેલા તમામ 50 કર્મચારીઓએ ગ્રામ વિકાસ એજન્સીમાં પોતાનો રાજીનામાનો પત્ર રજૂ કરી દીધો છે.
જ્યાં સુધી તેમના બાકી પગારની ચુકવણી ન થાય, રવિવારની રજા ન મળે અને માનસિક ત્રાસ બંધ ન થાય ત્યાં સુધી આ કર્મચારીઓએ તમામ સરકારી કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.
