ભાવનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
આ દૂર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ભાવનગર જેવી કરૂણાંતિકા સર્જાય નહીં તે માટે નાગરિકોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ દારૂબંધીના કડક અમલ અંગે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
રજૂઆત દરમિયાન નાગરિકોએ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

વ્યસનના કારણે અનેક યુવાનોના પરિવાર બરબાદ થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આથી પોલીસે પેટ્રોલીંગ વધારીને બૂટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
સ્થાનિકોએ માંગ કરી છે કે માત્ર દારૂ વેચનારાઓ સામે જ નહીં પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા કે મદદરૂપ થતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ તટસ્થ તપાસ કરી કાનૂની પગલાં લેવામાં આવે.
જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે દારૂબંધી અંગે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
