સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે સ્થાનિક જીવદયાપ્રેમીઓ અને નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઢવાણ, રતનપર અને જોરાવનગર વિસ્તારમાંથી વહેતી ભોગાવો નદીમાં તાજેતરમાં જ ફરી એકવાર પશુઓના શારીરિક અંગો કચરાના ઢગલામાંથી મળી આવ્યા છે. આ ગંભીર કૃત્યને કારણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. અને સમગ્ર પંથકમાં કોમી એકતા ખંડિત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
આ અગાઉ પણ રતનપર વિસ્તારમાંથી ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા. જેના આરોપીઓ હજી સુધી પોલીસ પકડથી દૂર છે. ત્યાં ફરી આવી જ ઘટના પ્રકાશમાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.
સ્થાનિક સૂત્રો અને જીવદયાપ્રેમીઓના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. આ કતલખાનાઓ ચલાવતા અસામાજિક તત્વો દ્વારા અબોલ પશુઓની ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવે છે. અને ત્યારબાદ તેમના હાડપિંજર તેમજ નકામો કચરો મોડી રાત્રે ભોગાવો નદીમાં ફેંકી દેવામાં આવે છે.
મહાનગરપાલિકા દ્વારા એક તરફ ભોગાવો નદીને સ્વચ્છ રાખવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નદી અત્યારે કતલખાનાના કચરાનું કેન્દ્ર બની ગઈ છે. આ કચરાના કારણે નદીની આસપાસના રહેણાંક વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.જેના લીધે સ્થાનિક લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે, સુરેન્દ્રનગરમાં કાર્યરત મોટાભાગના કતલખાનાઓ પાસે કોઈ કાયદેસરના લાયસન્સ નથી. ભૂતકાળમાં જે થોડા ઘણા લાયસન્સ આપવામાં આવ્યા હતા. તેમની એક્સપાયરી ડેટ ક્યારનીય પૂર્ણ થઈ ગઈ છે અને તે રીન્યુ પણ કરાયા નથી.
આમ છતાં, કોઈ પણ સરકારી પરવાનગી વિના રોજના હજારો પશુઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે કતલ માફિયાઓ બેફામ બન્યા છે. મોડી રાત્રે નદી કિનારે જ પશુઓની કતલ થતી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભોગાવો નદીના આસપાસના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ અવશેષો મળ્યા હોવાથી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
જીવદયાપ્રેમીઓએ માંગ કરી છે કે, પોલીસ ઉંડાણપૂર્વક અને કડક તપાસ કરે તો આ કાળા કારોબારમાં સંડોવાયેલા અનેક મોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ છે. તંત્ર દ્વારા આવા તમામ ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે અને પવિત્ર નદીને પ્રદૂષિત કરનારા ગુનેગારો સામે કડકમાં કડક નમૂનારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
