સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરી અંગે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના અમલીકરણ અને પ્રગતિ અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે જિલ્લાની પ્રશંસનીય સિદ્ધિઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે.
હાલમાં જિલ્લાના અંદાજિત 40,000 જેટલા ખેડૂતો આશરે 42,000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જે સમગ્ર જિલ્લા માટે એક મોટી ઉપલબ્ધિ સમાન છે.
કલેક્ટર જી. એચ. સોલંકીએ ત્રણ ગ્રામ પંચાયતના ક્લસ્ટર આધારિત કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, નવા પાકના આયોજનના આ સમયમાં ગામે-ગામ અનુભવી ‘કૃષિ સખી’ અને ‘સીઆરપી’ (કમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા ખેડૂતોને અસરકારક તાલીમ આપવામાં આવે. વધુમાં, ખેડૂતોને જરૂરી બાયો-ઇનપુટ્સ સરળતાથી મળી રહે અને તેઓ મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લે તેવું આયોજન કરવા સૂચન કર્યું હતું.
તેમણે ખેતીવાડી વિભાગના વિસ્તરણ સ્ટાફને રાસાયણિક ખાતરોનો બગાડ અટકાવવા અને પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગો પ્રદર્શિત કરવા જણાવ્યું હતું. ખેડૂતોના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટિંગ વ્યવસ્થા ઉભી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી સહિત બાગાયત, પશુપાલન અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
