ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર ભરત રણછોડભાઈ મેવાડાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભરત મેવાડાએ કોમ્પ્લેક્સના માલિક પાસેથી દુકાનો ખરીદ્યા બાદ તેના પર બેંકમાંથી મોટી લોન લીધી હતી.
આ લોન ચાલુ હોવા છતાં તેણે અન્ય વેપારીઓને આ દુકાનો વેચી મારી હતી. બેંકની ઉઘરાણી અને દુકાનો સીલ થવાની પ્રક્રિયા શરૂ થતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
આ મામલે વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આરોપી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. ધ્રાંગધ્રા પોલીસે બાતમીના આધારે આખરે તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
