લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે સવારે લખતર અને કડુ ગામ વચ્ચે આવેલા ગેથળા હનુમાનજી મંદિર પાસે એક આઈશર અને બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી કેરી ભરીને વિરમગામ તરફ જઈ રહેલી બોલેરો પીકઅપ ગાડી રોડની સાઈડમાં ઉભેલા આઈશર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ આઈશર પંચર પડવાના કારણે હાઈવે પર ઉભું રાખવામાં આવ્યું હતું.
આ અકસ્માતમાં બોલેરો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લખતર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
