સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદેસર ખનન બાદ ખુલ્લી છોડાયેલી ખાણો હવે જીવલેણ સાબિત થઈ રહી છે. થાનના દેવપરા ગામની સીમમાં આવેલી એક પથ્થરની ખાણમાં ડૂબી જવાથી 23 વર્ષીય યુવક રોહિત મનજીભાઈ મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 12 કલાકમાં થાન તાલુકામાં ખાણમાં ડૂબી જવાની આ બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રોહિત સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દેવપરાની સીમમાં ખાણ પાસે તેના કપડાં અને ચપ્પલ મળી આવતા તે પાણીમાં ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટર ટીમે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, યુવક નહાવા પડ્યો હોય ત્યારે ડૂબી ગયો હોવાનું મનાય છે.
સ્થાનિકોની માંગ છે કે ભૂમાફિયાઓ દ્વારા ખોદવામાં આવેલી આવી જોખમી ખાણોને તંત્ર દ્વારા સત્વરે પુરી દેવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
