મૈત્રી કરાર રદ કરો.જેતે વિસ્તારમાજ લગ્ન થવા જોઈએ પ્રેમ લગ્નમા 10 લાખની એફડી ફરજિયાત સહીતની માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણના સર્વ સમાજ વતી ધોળકીયા મનિષ કનૈયાલાલના નેતૃત્વમાં કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે કલેક્ટરને પ્રેમ લગ્ન સંબંધિત કાયદાઓ અને મૈત્રી કરારના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ અમલમાં રહેલા પ્રેમ લગ્ન કાયદા અને મૈત્રી કરાર સંબંધિત નિયમોમાં અનેક ખામીઓ છે, જેના કારણે સમાજમાં અવ્યવસ્થા, અસંતોષ અને કુટુંબ વ્યવસ્થામાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને કૌટુંબિક મૂલ્યોની રક્ષા માટે કાયદાઓમાં તાત્કાલિક સુધારા અનિવાર્ય છે.સર્વ સમાજની મુખ્ય માંગણીઓને ધ્યાને લઇ સર્વ સમાજ વતી આવેદનપત્રમાં માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રેમ લગ્ન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે.મૈત્રી કરાર કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે. લગ્ન માટે ૩૦ વર્ષની વય સુધી છોકરા-છોકરીઓએ માતા-પિતાની ફરજીયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે. પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે. સાક્ષીઓની ઉંમર ૪૦ વર્ષ સુધીની રાખવામાં આવે. પ્રેમ લગ્ન કરનાર યુગલ પાસે રૂ. ૧૦ લાખની એફ.ડી. ફરજીયાત કરાવવામાં આવે. પ્રેમ લગ્ન કરનાર વ્યકિતએ પોતાના માતા-પિતાની સંપત્તિ ઉપરથી કાયદેસર રીતે બેદખલ થવું જોઈએ.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ માંગણીઓ અવગણવામાં આવશે તો ભવિષ્યમાં ગાંધીનગર ખાતે સર્વ સમાજના આગેવાનોની વિશાળ સભા દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ધોળકીયા મનિષ કનૈયાલાલે આપી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.