ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૪૫.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.જે હાલ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે.
આગામી બે દિવસ એટલે કે 13 અને 14 મે દરમિયાન જિલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની પ્રબળ શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ આકરી ગરમી અને લૂની અસરોથી બચવા માટે નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા અને તકેદારીના પગલાં અનુસરવા ખાસ વિનંતી કરવામાં આવે છે.
તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી કે સીધા સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્નાયુઓમાં ખેંચાણ, ભારે નબળાઈ, ચક્કર આવવા, અસહ્ય માથાનો દુખાવો અને ઉબકા આવવા જેવા લક્ષણો જણાઈ શકે છે. જો આવી કોઈ પણ શારીરિક તકલીફ અનુભવાય તો જરા પણ વિલંબ કર્યા વિના તુરંત જ નજીકના સરકારી દવાખાના કે નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત આવશ્યક છે.
હીટવેવ દરમિયાન શું કરવું?
* ગરમીથી રક્ષણ મેળવવા માટે તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ.
* શરીરમાં પ્રવાહી અને ક્ષારની માત્રા જાળવી રાખવા માટે ઓ.આર.એસ. (ORS), ઘરે બનાવેલી મોળી છાશ, લસ્સી, લીંબુ પાણી અથવા નારિયેળ પાણી જેવા કુદરતી પેય પદાર્થોનું સેવન કરવું હિતાવહ છે.
* બહાર નીકળતી વખતે હળવા રંગના, સુતરાઉ અને શરીરને ઢાંકી શકે તેવા ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.
* સૂર્યના સીધા તાપથી બચવા માટે માથા પર રૂમાલ કે સફેદ કપડું બાંધવું અથવા ટોપી અને છત્રીનો અનિવાર્યપણે ઉપયોગ કરવો.
* હળવા રંગના કપડાં સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે.જે શરીરના સામાન્ય તાપમાનને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
* કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી.
* વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઇમ ટેબલ બનાવવું. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું.
* નવજાત શિશુઓ, નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની ખાસ સંભાળ રાખવી, કારણ કે તેઓ ગરમીના પ્રકોપ સામે વધુ સંવેદનશીલ હોય છે.
* રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો.
હીટવેવ દરમિયાન શું ન કરવું?
* બપોરના સમયે એટલે કે 12:00 થી 05:00 વાગ્યાના ગાળામાં જ્યારે તડકો સૌથી વધુ તીવ્ર હોય ત્યારે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
* દિવસ દરમિયાન ઘરની બારીઓ અને પડદા બંધ રાખવા જેથી બહારની ગરમ હવા અંદર ન પ્રવેશે, જ્યારે રાત્રિના સમયે બારીઓ ખુલ્લી રાખી ઘરને ઠંડું થવા દેવું.
* જેમના ઘરે એરકન્ડિશનની સુવિધા નથી તેમણે પંખા અથવા કુલરનો ઉપયોગ કરવો અને વારંવાર ઠંડા પાણીથી સ્નાન કરવું.
* વધુ પડતી ચા, કોફી, આલ્કોહોલ કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક્સ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે આ પીણાં શરીરને અંદરથી ડિહાઇડ્રેટ કરે છે.
* ખોરાકમાં પણ વધુ પ્રોટીનયુક્ત, તેલવાળો કે વાસી ખોરાક લેવાને બદલે હળવો અને તાજો ખોરાક લેવો હિતાવહ છે.
* શ્રમિકો અને બહાર કામ કરતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન કરવું અને કામના સ્થળે ઠંડા પાણી તેમજ છાંયડાની વ્યવસ્થા રાખવી.
* સખત પરિશ્રમ વાળા કાર્યો દરમિયાન સમયાંતરે લાંબો આરામ લેવો અને સગર્ભા મહિલા કામદારોની તબિયત પર વિશેષ ધ્યાન આપવું.
* બાળકો કે પાલતુ પ્રાણીઓને ક્યારેય પણ પાર્ક કરેલા વાહનોમાં એકલા છોડવા નહીં, કારણ કે બંધ વાહનમાં તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.
મૂંગા પશુ-પંખીઓ પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી તેમને શેડની નીચે છાંયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો. પશુઓ માટેના પાણીના પાત્રો વારંવાર ભરતા રહેવા જેથી તેમને તાજું પાણી મળી રહે. પાળેલા પ્રાણીઓને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવા નહિ.
જો તમને અથવા તમારી આસપાસ કોઈને અશક્તિ લાગે, ચક્કર આવે, માથામાં સખત દુખાવો થાય, ઉબકા આવે કે સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય, તો તે હીટસ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. આવા સમયે વિલંબ કર્યા વગર તુરંત જ નજીકના સરકારી દવાખાના કે ડૉક્ટરનો સંપર્ક કરવો.
