સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત છે.
કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા લાંબા સમયથી પગારની ચુકવણી ન કરવામાં આવતા આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ હવે આ શ્રમિકો માટે મુશ્કેલ બન્યું છે. જેના પગલે આજે કર્મચારીઓએ એકઠા થઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.
કર્મચારીઓએ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આગામી 19 મે સુધીમાં તેમના બાકી પગારની ચુકવણી કરવામાં નહીં આવે, તો તેઓ તમામ સ્મશાન ગૃહોને તાળાબંધી કરી દેશે. સ્મશાનમાં થતી તમામ અંતિમવિધિ અને અન્ય કામગીરી ઠપ કરવાની ચીમકી આપતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સ્મશાનના કર્મચારીઓએ માંગ કરી છે કે, કોન્ટ્રાક્ટ એજન્સી સામે કડક પગલાં ભરીને તાત્કાલિક તેમના હકનો પગાર ચૂકવવામાં આવે.
