સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક દીપડાએ ભારે આતંક મચાવ્યો છે. વન્ય જીવના સતત હુમલાઓને કારણે સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 15 દિવસમાં આ દીપડાએ સીમ વિસ્તારમાં 8 થી વધુ પશુઓનું મારણ કર્યું છે, જેમાં આજે વહેલી સવારે 4 વાગ્યે વધુ એક બકરીનો શિકાર કરતા લોકોમાં રોષ ફેલાયો છે. સોનગઢ ગામની સીમમાં દીપડો ફરતો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર વીડિયો પુરાવા આપવા છતાં હજુ સુધી દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી નથી. માલધારીઓ રાત્રિ દરમિયાન પોતાના પશુધનને બચાવવા માટે જાગતા રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ફોરેસ્ટ વિભાગ પાસે દીપડાને પકડવા માટે પૂરતા આધુનિક સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. જોકે, વન વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી છે અને પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે.
સોનગઢના લોકોની માંગ છે કે આ હિંસક દીપડાને વહેલી તકે પાંજરે પૂરી અન્યત્ર ખસેડવામાં આવે, જેથી માનવ મહેરામણ અને પશુધનની સુરક્ષા જળવાઈ રહે. જો ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
