સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલમાં આ સ્ટેશન ગંદકીનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રેલવે સ્ટેશન પર આવેલા શૌચાલયની કુંડીઓ લાંબા સમયથી સાફ ન કરવામાં આવતા તે છલકાઈ રહી છે, જેના કારણે પ્લેટફોર્મ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ગંદકીને લીધે મુસાફરોને ટ્રેનની રાહ જોવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા સફાઈ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ગંદકીની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ રામ ભરોસે જોવા મળી રહી છે. સ્ટેશન પર પાણીના નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ પાણી પીવા માટે એક પણ ગ્લાસની વ્યવસ્થા નથી. જે મુસાફરો પાસે પોતાની પાણીની બોટલ નથી, તેમને પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડે છે અથવા તો અંજલિ ભરીને પાણી પીવા મજબૂર થવું પડે છે. મુસાફરોની સુવિધાના નામે રેલવે તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
આ ગંભીર બેદરકારી સામે આવતા મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે અને સ્ટેશનની ગંદકી દૂર કરી પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે. બીજી તરફ, રેલવે વિભાગના સ્થાનિક અધિકારીએ આ બાબતની નોંધ લેતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ ખાતરી બાદ મુસાફરોને ક્યારે રાહત મળે છે.
