સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના વધતા જતાં ત્રાસ અને આત્મહત્યાના બનાવોને રોકવા માટે જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ASP વૈદિકા બિહાની અને તેમની ટીમ દ્વારા જિલ્લાના 10 તાલુકાના 19 જેટલા કુખ્યાત વ્યાજ માફિયાઓની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ તમામ શખ્સો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા આદેશો અપાયા છે.
જાહેર કરવામાં આવેલી યાદીમાં મૂળી, લીંબડી, ચુડા, જોરાવરનગર, ધજાડા અને સુરેન્દ્રનગર B-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા અનેક શખ્સોના નામ સામેલ છે. ASP વૈદિકા બિહાનીએ પીડિતોને ખાતરી આપી છે કે, વ્યાજખોરોના ડર રાખ્યા વિના કોઈપણ વ્યક્તિ પઠાણી ઉઘરાણી કે ત્રાસની ફરિયાદ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.
પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે લોકો આ વ્યાજ માફિયાઓથી પીડિત હોય તેઓ ખુલીને બહાર આવે, તેમને ન્યાય અપાવવા માટે તંત્ર કટિબદ્ધ છે. હાલમાં આ 19 શખ્સો વિરુદ્ધ અલગ-અલગ 7 જેટલા ગુનાઓની તપાસ ચાલી રહી છે. આ કડક કાર્યવાહીના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ પીડિતોને આ માફિયાઓ વિરુદ્ધ હિંમતપૂર્વક ફરિયાદ નોંધાવવા માટે તાકીદ કરી છે.
મુળી પોલીસ સ્ટેશનમાં (૧) દેવાયતભાઈ શામળાભાઈ રબારી (રહે. ગઢડા) (૨) કાળુભાઈ ભરવાડ (રહે. સુરેન્દ્રનગર) (૩) દીલાભાઇ ભરવાડ (રહે. સુરેન્દ્રનગર), લીમડી પોલીસ સ્ટેશનમાં (૪) ભગીરથસિંહ રાણા (રહે.આઝાદ ચોક, લીંબડી) (૫) રાજદીપસિંહ ઉર્ફે ભાણુભા મહેન્દ્રસિંહ (રહે. નંદીગ્રામ સોસાયટી, લીંબડી), ચુડા પોલીસ સ્ટેશનમાં (૬) મનુભાઈ જીવાભાઇ ખાચર (રહે. કોરડા), જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં (૭) હરપાલસિંહ દિલુભા પઢિયાર (રહે. હેરમાની વાડી, વઢવાણ), ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં (૮) મોઢભાઈ બહાદુરભાઇ ખાચર (રહે. સાયલા) (૯) પ્રતાપભાઈ કાઠી (રહે. શિરવાણીયા, તા.સાયલા) (૧૦) ઉદય લખુભાઇ ખવડ (રહે. શિરવાણીયા) (૧૧) બાપભાઈ ધીરુભાઈ ભાભડા (રહે. ભાણેજડા) (૧૨) વનરાજભાઈ કાઠી (રહે.ભાણેજડા) (૧૩) હરસુખભાઈ ગોવિંદભાઈ (રહે.ગઢસીરવાણીયા), સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં (૧૪) રામભાઈ વસ્તુભાઈ કરપડા, રહે. ૬૦ ફૂટ રોડ- વન વિભાગનો સરકારી કર્મચારી (૧૫) પ્રફુલસિંહ અર્જુનસિંહ રાણા (રહે. દાળમીલ રોડ) (૧૬) અરવિંદભાઈ વરસંગભાઈ જાદવ, રહે.૬૦ ફૂટ રોડ (૧૭) મયુર ગોવિંદભાઈ રબારી (રહે.કુકડા) (૧૮) બાલાસિંગ આર.રાઠોડ, રહે. સનફ્લાવર સ્કૂલ પાછળ (હાલ રહે.અમદાવાદ) (૧૯) પ્રતાપભાઈ કાળુભાઈ માલા, રહે.થાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને આ યાદી જાહેર કરવામાં આવી છે જો કોઈ આ તમામ વ્યાજ માફિયાઓથી પીડિત હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે અને પોલીસ તેમને ન્યાય અપાવશે તેવી ખાતરી એએસપી વૈદિકા બિહાની દ્વારા આપવામાં આવી છે..
