સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ન ભરતા ગ્રાહકો સામે PGVCL વિભાગ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા કુલ 254 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી લેણાંની વસૂલાત કરી રહી છે.
અત્યાર સુધીમાં 4,126 જેટલા ગ્રાહકો પાસેથી અંદાજે 1.75 કરોડ રૂપિયાની બાકી વસૂલાત કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન જે ગ્રાહકોએ વારંવારની સૂચના છતાં બિલની ચુકવણી કરી નથી, તેવા 87 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે. PGVCL ના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ 25% સુધી પહોંચી ગયું છે, જે ચિંતાનો વિષય છે. હવે જે ગ્રાહકોના કનેક્શન કપાયા છે, તેમણે નવું કનેક્શન લેવા માટે દંડ ભરવો પડશે અને ફરજિયાતપણે Smart Meter નંખાવવું પડશે. તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર બિલ ભરીને કાયદેસરની કાર્યવાહીથી બચે.
