સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વ્હાણે હાલ શિસ્તભંગ કરનારા કર્મચારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાનો પગાર લેવા છતાં ફરજમાં બેદરકારી દાખવતા અને સમયસર ઓફિસ ન આવતા 58 જેટલા કર્મચારીઓને કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે.
મનપાના નિયમ અનુસાર સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો ફરજ સમય નક્કી હોવા છતાં, અનેક કર્મચારીઓ મોડા આવતા અને વહેલા ઘરે ભાગી જતા હોવાનું બહાર આવ્યું હતું.
કમિશનરે જાન્યુઆરી મહિનાથી બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) મશીનનું જાતે મોનિટરિંગ શરૂ કર્યું હતું. આ ડેટાના આધારે જે કર્મીઓ શિસ્તનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રજાના કામો માટે સમયપાલન અનિવાર્ય છે. વર્ષોથી ચાલતી લાલિયાવાડી સામેની આ કડક કાર્યવાહીથી મનપાના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રમાં શિસ્ત જાળવવા માટે લેવાયેલા આ પગલાંની શહેરીજનો પ્રશંસા કરી રહ્યા છે.
