સુરેન્દ્રનગર મામલતદાર કચેરીમાં આવેલી એટીવીટી (ATVT) શાખાની કામગીરી હાલ અરજદારો માટે માથાના દુખાવા સમાન બની છે. શહેરી વિસ્તારમાં 3 લાખથી વધુની વસ્તી હોવા છતાં, કચેરીમાં માત્ર 1 જ સિસ્ટમ કાર્યરત છે, જ્યારે બીજી સિસ્ટમ સ્ટાફના અભાવે બંધ હાલતમાં છે.
હાલમાં આરટીઇ (RTE) ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 યોજાવાની હોવાથી આવક, જાતિ અને ઇ-ડબલ્યુએસ (EWS) ના દાખલા કઢાવવા માટે વાલીઓ અને ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
કચેરીની કથળતી વ્યવસ્થાને કારણે અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. નવા મામલતદારની નિમણૂક બાદ હજુ સુધી તેમની ‘ઇ-સાઇન’ (E-sign) સક્રિય ન થઈ હોવાના બહાના હેઠળ લોકોને 5-5 દિવસનું વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હોવાથી વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.
આ ઉપરાંત, સ્થાનિક તલાટીઓને ચૂંટણીની કામગીરીમાં રોકી દેવામાં આવ્યા હોવાથી અરજદારોએ સહી-સિક્કા કરાવવા માટે પણ અહીં-તહીં ભટકવું પડી રહ્યું છે.
એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના મુખ્ય એટીવીટી સેન્ટરમાં પૂરતો સ્ટાફ ન હોવો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
લોકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરે અને બંધ પડેલી બીજી સિસ્ટમ શરૂ કરાવી ઇ-સાઇનની પ્રક્રિયા ઝડપી બનાવે. જો સમયસર દાખલાઓ નહીં મળે તો અનેક બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહી જશે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાશે.
