સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. (NA) કૌભાંડમાં સંકળાયેલા સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
એસીબી (ACB) વિભાગ દ્વારા કરવામાં આવેલી મિલકતની તપાસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, ચંદ્રસિંહ મોરી પાસે તેમની કાયદેસરની આવક કરતા 56.89 ટકા વધુ સંપત્તિ છે. તપાસ દરમિયાન કુલ 1.22 કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર આવક ઊભી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો અને નજીકના સગા-સંબંધીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હતી.
કુલ 1,22,27,658 રૂપિયાની આ મિલકતો ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદવામાં આવી હોવાની પુષ્ટિ થતા એસીબીએ વધુ એક ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડમાં ચંદ્રસિંહ મોરી મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા હતા.
આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.ડી. પટેલને સોંપવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને તેમની ટીમે પુરાવા એકત્રિત કર્યા છે. એસીબી દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પાસે ચંદ્રસિંહ મોરીની ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કે અન્ય પુરાવા હોય, તો તે એસીબીને સોંપે જેથી આરોપી સામે વધુ કડક પગલાં ભરી શકાય.
