surendranagar-heatwave-red-alert-temperature-update
ઝાલાવાડ પંથકમાં સૂર્યદેવતા આકરા પાણીએ હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૧.૫ ડિગ્રીએ પહોંચતા સમગ્ર જિલ્લો ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે. જિલ્લામાં આજે તાપમાનનું રેડ એલર્ટ જારી કરાયું હતું તો આવતીકાલે પણ જિલ્લામાં સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઇ છે. વધતા પારાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિાકે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવા અંગે વિચારણા શરૂ કરી છે.
જિલ્લામાં હીટવેવ તા.૧૩ માર્ચ શુક્રવાર સુધી લંબાવાની શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ કલેક્ટરે જણાવ્યું છે કે જો ગરમીનો પારો આ જ રીતે યથાવત રહેશે, તો આગામી દિવસોમાં વહીવટી કામકાજના સમયમાં ચોક્કસપણે ફેરફાર કરવામાં આવશે જેથી કર્મચારીઓ અને અરજદારોને હીટવેવથી બચાવી શકાય.
બીજી તરફ, આકરી ગરમી વચ્ચે પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાસ કરીને બપોરની પાળીમાં ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી રાજ્યકક્ષાએથી કોઈ સત્તાવાર પરિપત્ર કે સૂચના નહીં મળે ત્યાં સુધી શાળાના સમયમાં ફેરફાર શક્ય નથી. શાળા સંચાલકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી તાત્કાલિક સવારની પાળીનો નિર્ણય લેવામાં આવે.
આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને ખાસ કરીને વૃદ્ધો તથા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. ગરમીના કારણે ઠંડા પીણા અને શેરડીના રસના વેચાણમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.
