સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલા પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
આ નવા નિયમ મુજબ, કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર પોતાના પ્રચાર કાફલામાં એકસાથે 10 થી વધુ વાહનો રાખી શકશે નહીં. આ મર્યાદા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓના કોન્વોયને પણ સમાન રીતે લાગુ પડશે.
જાહેરનામાની વિગતો અનુસાર, જો કાફલામાં વાહનોની સંખ્યા 10 થી વધારે હોય, તો બે કાફલા વચ્ચે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર માત્ર 3 વાહનો સાથે જ પ્રવેશ કરી શકશે.
ફોર્મ ભરવા અથવા અન્ય કામકાજ માટે કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. આ નિયમમાંથી ફરજ પરના સરકારી વાહનો અને ચૂંટણી સ્ટાફના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
આ આદેશ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે 30 એપ્રિલ 2026 ના રોજ રાત્રે 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ કે ઉમેદવાર આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ મતદાન અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
