સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસામાજિક અને ત્રાસવાદી તત્વો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો ન મેળવે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલ દ્વારા મકાન ભાડે આપવા અંગેનું કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ આદેશ મુજબ, હવે જિલ્લામાં કોઈપણ મકાન માલિકે મકાન ભાડે આપતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.
નવા નિયમ અનુસાર, મકાન માલિકોએ ભાડુઆતનું નામ, કાયમી સરનામું, ફોટોગ્રાફ અને ઓળખના પુરાવા સહિતની તમામ વિગતો નિયત ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત મકાનની વિગત, બાંધકામનું ક્ષેત્રફળ, માસિક ભાડું અને મકાન માલિક સાથે સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યક્તિની માહિતી પણ આપવી અનિવાર્ય છે. પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપવું હવે કાયદાકીય ગુનો ગણાશે.
આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ મકાન માલિક અથવા મિલકત ધારક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાના ભાગરૂપે આ નિયમનું ચુસ્તપણે પાલન કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરે.
