સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે.
જિલ્લાની 1355 આંગણવાડીઓમાં ફરજ બજાવતી આશરે 2710 જેટલી આંગણવાડી વર્કર (Anganwadi Workers) બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન બહિષ્કારની (Election Boycott) ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા બે માસથી આ બહેનો પગાર વધારા અને ઓનલાઇન કામગીરી બંધ કરવાની માગ સાથે આંદોલન કરી રહી છે.
સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલી પોસ્ટ્સ દ્વારા આંગણવાડી બહેનોએ સરકાર અને વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોર્ટના ચુકાદા મુજબ તેમના પગારમાં વધારો નહીં કરવામાં આવે, તો તેઓ લોકશાહીના આ પર્વમાં મતદાનથી દૂર રહેશે.
ખાસ કરીને ઓનલાઇન ડેટા એન્ટ્રીના વધારાના કામના બોજ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. એક તરફ શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે લોકો ઉમેદવારોનો વિરોધ (Protest) કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આટલી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓના બહિષ્કારના નિર્ણયથી તંત્ર દોડતું થયું છે.
હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ બહેનોને સમજાવવા અને મતદાનમાં સહભાગી કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
