સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાને લઈને મોટો વિવાદ છેડાયો છે. ઓવગઢ ગામના લોકો અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યોએ એકત્ર થઈ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે હાલના મધ્યાહન ભોજન સંચાલક અત્યંત અનિયમિત છે અને બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે. આ ઉપરાંત, ભોજનના પુરવઠામાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, અગાઉ આ કામગીરી સ્થાનિક સંચાલક સંભાળતા હતા, પરંતુ તેમનો હુકમ રદ કરી મોટા ભડલા ગામના નવા સંચાલકની નિમણૂક કરવામાં આવી છે. નવા સંચાલકની નિમણૂક પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે અગાઉના સંચાલકની કલેક્ટર કચેરીમાં અપીલની 60 દિવસની મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ ઉતાવળે નવી નિમણૂક કરી દેવામાં આવી હતી.
ગ્રામજનો અને SMC સભ્યોએ માંગ કરી છે કે હાલના ભ્રષ્ટ સંચાલકને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને ગામના જ લાયક ભૂતપૂર્વ સંચાલકને ફરીથી તક આપવામાં આવે જેથી બાળકોને શુદ્ધ અને સમયસર ભોજન મળી રહે.
