સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે રહેતા 35 વર્ષીય ખેડૂત ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયાએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાના જ ખેતરમાં મોનોકોટા નામની ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા. મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં, દિલીપસિંહ, ધીરુભાઈ, કાળુભાઈ, વિહાભાઈ અને દેવાયતભાઈ નામના શખ્સો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા ખેડૂતે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.
આ ઘટના બાદ સુરેન્દ્રનગર પોલીસ હરકતમાં આવી છે. ASP વૈદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે આગામી 22 માર્ચના રોજ પોલીસ તાલીમ ભવન ખાતે વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીડિતો પોતાની અરજી આપી શકશે અને જરૂરિયાતમંદોને સરકારી બેંકો મારફતે લોન અપાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં પોલીસે પાંચેય વ્યાજખોરો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
