સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે DYSP વી.એમ. રબારીના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના 8 જેટલા અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળીને સ્થળ પર જ યોગ્ય નિરાકરણ લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
DYSP વી.એમ. રબારીએ જણાવ્યું હતું કે, આ અરજી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા પીડિત પરિવારોને બહાર કાઢવાનો અને શહેરમાંથી અસામાજિક તત્વોનો સફાયો કરવાનો છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સીધો પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવો. આ મેળામાં માત્ર કાયદાકીય મદદ જ નહીં, પરંતુ આર્થિક સહાયના માર્ગો પણ ખુલ્લા કરવામાં આવ્યા હતા. વિવિધ બેંકોના અધિકારીઓએ ઉપસ્થિત રહીને નાના વેપારીઓ અને અરજદારોને બેંક લોન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોલીસ તંત્રની આ સક્રિયતાને કારણે સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. નાગરિકોને સરળ અને ઝડપી ન્યાય મળે તે દિશામાં આ અરજી મેળો એક પ્રશંસનીય પગલું સાબિત થયો છે. વ્યાજખોરો અને ગુંડા તત્વોથી ડર્યા વગર લોકો પોતાની ફરિયાદ રજૂ કરી શકે તે માટે પોલીસ સતત પ્રતિબદ્ધ છે.
