લીંબડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે લાંબા સમય બાદ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણા ખાતે તેમનો 94મો જન્મજયંતી મહોત્સવ ઉજવી, વિહાર કરીને 11 વર્ષ પછી લીંબડી પધાર્યા છે.
આ પ્રસંગે જૈન સમાજ અને સ્થાનિક વેપારીઓ દ્વારા ઉટડીના પુલથી શહેરના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. મહિલાઓએ મંગળ કળશ સાથે ગુરુદેવનું સ્વાગત કર્યું હતું.
પોતાના પ્રવાસ દરમિયાન મહારાજ સાહેબે લીંબડી મહાજન પાંજરાપોળની મુલાકાત લઈ અબોલ પશુઓને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ નૂતન ઉપાશ્રય અને બાહુજિન સ્વામી જિનાલય ખાતે ભાવિકોને માંગલિકનું શ્રવણ કરાવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં રવિલાલભાઈ શાહ, મુકેશભાઈ શેઠ અને પ્રકાશભાઈ સોની સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામૈયા બાદ પુરીબાઈની ધર્મશાળામાં નવકારશી અને સંઘ સ્વામીવાત્સલ્યનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
