સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો કરી રહ્યો છે. આ વિસ્તારના મોટાભાગના પરિવારો મજૂરીકામ પર નિર્ભર હોવાથી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં આર્થિક મુશ્કેલીઓ નડે છે. ઘણીવાર શાળા દૂર હોવાને કારણે બાળકો અભ્યાસ છોડી દેતા હોય છે. આ સમસ્યાના નિવારણ અને બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે.
તાજેતરમાં ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢ ગામની સરકારી શાળા ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા દ્વારા શાળામાં અભ્યાસ કરતા અંદાજે 177 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ લાંબા અંતરથી ચાલીને શાળાએ આવતા હતા, તેમને આ સાયકલ મળવાથી હવે તેઓ સમયસર શાળાએ પહોંચી શકશે અને તેમનો અભ્યાસમાં રસ જળવાઈ રહેશે.
આ સાયકલ વિતરણ કાર્યક્રમમાં વીરેન્દ્રગઢ પ્રાથમિક શાળાના આચાર્ય, સમગ્ર શિક્ષકગણ તેમજ ગામના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આ સેવાયજ્ઞને બિરદાવતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આવા પ્રોજેક્ટ્સથી રણકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને ગરીબ પરિવારના બાળકો પણ ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડી શકશે. સાયકલ મળતા વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.
