ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સપ્તાહે આવેલા મીની વાવાઝોડાને કારણે વીજ પોલ અને લાઈનોમાં સર્જાયેલી ખામી હજુ સુધી સુધારવામાં આવી નથી. પિયત માટે વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં PGVCL કચેરીએ ઉમટી પડ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો.
અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. PGVCLના અધિકારીઓએ આગામી શુક્રવાર બપોર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની હૈયાધારણા આપી છે. જો કે, ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં વીજળી શરૂ નહીં થાય તો તેઓ રેલી કાઢી જલદ આંદોલન કરશે.
